અનાજ ખરીદીની તારીખ લંબાતા ખટ્ટરના ઘરને ઘેરવાનો પ્રયાસ

217

પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા પર ઊતર્યા : ખેડૂતોએ મુખ્યમંત્રી આવાસની બહાર બેરિકેડ્‌સ તોડ્યા ત્યાર બાદ તેમને કાબૂમાં લેવા પોલીસનો પાણીનો મારો
કરનાલ, તા.૨
અનાજની ખરીદીની તારીખ લંબાવવામાં આવતા નારાજ થયેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અનેક પ્રદર્શનકારી ખેડૂતોએ સાંસદો અને ધારાસભ્યોના ઘરને ઘેરવાની સાથે જ કરનાલ ખાતે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના આવાસને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે ખેડૂતોને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવેલા છે.
પ્રદર્શનકારી ખેડૂતોએ મુખ્યમંત્રી આવાસની બહાર બેરિકેડ્‌સ તોડ્યા ત્યાર બાદ તેમને કાબૂમાં લેવા માટે પોલીસે પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી સરકાર અનાજની ખરીદી નહીં કરે વિરોધ પ્રદર્શન અને ધરણા ચાલુ રાખવામાં આવશે. પંચકૂલા ખાતે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ એક ડઝન કરતા પણ વધારે ખેડૂતોને પોલીસે કસ્ટડીમાં પૂર્યા છે. પોલીસનો આરોપ છે કે, પ્રદર્શનકારી ખેડૂતો પોલીસ કર્મચારીઓ પર ટ્રેક્ટર ચઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. આ તરફ ચંડીમંદિર ટોલ પ્લાઝા ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે બળ પ્રયોગ કરવાની સાથે લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારી ખેડૂતોના કહેવા પ્રમાણે ખરીદીમાં મોડું થઈ રહ્યું હોવાથી વરસાદમાં તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. પાકેલા પાકને કાપવામાં ૧૧ દિવસ મોડું કરવામાં આવે તો દાણા ખરી જશે. વરસાદના કારણે નુકસાન સહ્યા બાદ ખરીદીમાં મોડું કરવાથી નુકસાન થઈ શકે છે.

Previous articleકૃષિ કાયદાનો વિરોધ રાજકીય છેતરપિંડી છેઃ વડાપ્રધાન મોદી
Next articleકોરોનાને ખતમ કરવા ભારતમાં ૨૦ દવાના ટ્રાયલ ચાલી રહ્યા છે