વડાપ્રધાને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે કોવિડ પર ચેતવણી પણ આપી : પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતા પરંતુ વ્યક્તિત્વને શણગારે છે, તે જીવનને આકાર આપે છે, પુસ્તકો વાંચવાનો શોખ અદભુત સંતોષ આપે છે : મોદી
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કર્યા હતા. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી ‘મન કી બાત’ કરે છે. આજે મન કી બાતની ૮૪મી આવૃત્તિ હશે. આ ‘મન કી બાત’ આ વર્ષનો અંતિમ કાર્યક્રમ હતો. આજે વિશ્વમાં રસીકરણના જે આંકડા છે, તેની સરખામણી ભારત સાથે કરીએ, તો લાગે છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે. વેક્સીનના ૧૪૦ કરોડ ડોઝનો માઈલસ્ટોન પાર કરવો, એ દરેક ભારતીયની સિદ્ધિ છે. વડાપ્રધાન મોદીએ મન કી બાતનો ૮૪મો એપિસોડ શરૂ કર્યો. તેમણે કહ્યું, આ સમયે તમે ૨૦૨૧ને વિદાય આપવા અને ૨૦૨૨ને આવકારવાની તૈયારી કરી રહ્યા હશો. નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારા વર્ષમાં કંઈક સારું કરવા, વધુ સારા બનવાનો સંકલ્પ લે છે. છેલ્લા સાત વર્ષથી આપણી મન કી બાત પણ વ્યક્તિ, સમાજ, દેશની સારી બાબતોને ઉજાગર કરીને વધુ સારું કરવા, વધુ સારા બનવાની પ્રેરણા આપતી આવી છે.
પીએમ મોદીએ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે દેશવાસીઓને ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ચૂક્યો છે. આપણે તેનું ધ્યાન રાખવું પડશે. મોદીએ કહ્યું કે જે નવો વેરિઅન્ટ ઓમિક્રોન આવ્યો છે, તેનો અભ્યાસ આપણા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે સ્વયંની સજાગતા, શિસ્ત કોરોનાના આ નવા વેરિઅન્ટ સામે આપણી શક્તિ છે. પીએમ મોદીએ કહ્યું, ’મારા વ્હાલા દેશવાસીઓ, મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું – ’નભઃ સ્પૃશં દિપ્તમ’ એટલે ગર્વથી આકાશને સ્પર્શવું. તે ભારતીય વાયુસેનાનું વાક્ય પણ છે. આવું હતું ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું જીવન…વરુણ સિંહ, એ હેલિકોપ્ટરને ઉડાવી રહ્યા હતા, જે આ મહિને તમિલનાડુમાં એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. તે અકસ્માતમાં, આપણે દેશના પ્રથમ ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત ઘણા વીરોને ગુમાવ્યા. વરુણ સિંહ પણ મૃત્યુ સામે ઘણા દિવસો સુધી બહાદુરીથી લડ્યા, પરંતુ પછી તે પણ આપણને છોડીને ચાલ્યા ગયા. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સાક્ષી, આજે પણ લખનૌની દિવાલો પર જોવા મળે છે. રેસીડેન્સીમાં થયેલા ડ્રોન શોમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વિવિધ પાસાઓને જીવંત કરવામાં આવ્યા હતા. ’ચૌરી ચૌરા આંદોલન’ હોય, ’કાકોરી ટ્રેન’ની ઘટના હોય કે પછી નેતાજી સુભાષની અદમ્ય હિંમત અને બહાદુરી હોય, આ ડ્રોન શોએ દરેકનું દિલ જીતી લીધું. એ જ રીતે, તમે તમારા શહેરો, ગામડાઓની આઝાદીની ચળવળ સાથે જોડાયેલા વિશિષ્ટ પાસાઓને પણ લોકો સમક્ષ લાવી શકો છો. ટેક્નોલોજી પણ આમાં ઘણી મદદ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતા પરંતુ વ્યક્તિત્વને પણ શણગારે છે, તે જીવનને આકાર આપે છે. પુસ્તકો વાંચવાનો શોખ અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે લોકો ગર્વથી કહે છે કે મેં આ વર્ષે આટલા પુસ્તકો વાંચ્યા છે. હવે મને વધુ પુસ્તકો વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધારવો જોઈએ.
હું ’મન કી બાત’ના શ્રોતાઓને પણ કહીશ કે તમે આ વર્ષના એ પાંચ પુસ્તકો વિશે જણાવો જે તમારા મનપસંદ રહ્યા છે. આ રીતે, તમે ૨૦૨૨માં અન્ય વાચકોને પણ સારા પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો. મન કી બાતમાં પીએમએ કહ્યું, મને ગોવાના સાગર મુલે જીના પ્રયાસો વિશે પણ જાણવા મળ્યું છે, જેઓ સેંકડો વર્ષ જૂની ’કાવી’ ચિત્રકળાને લુપ્ત થવાથી બચાવવામાં લાગ્યા છે. ’કાવી’ ચિત્રકળા ભારતના પ્રાચીન ઈતિહાસને પોતાનામાં આવરી લે છે! વાસ્તવમાં ’કાવ’નો અર્થ છે લાલ માટી. પ્રાચીન સમયમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન કરનારા લોકોએ અન્ય રાજ્યોના લોકોને આ અદ્ભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો હતો. સમયની સાથે આ ચિત્રકળા લુપ્ત થઈ રહી હતી પરંતુ સાગર મુલે જીએ આ કલાને નવું જીવન આપ્યું છે. તેમના આ પ્રયાસને પણ ઘણી પ્રશંસા મળી રહી છે. મન કી બાતના પાછલા એપિસોડમાં પીએમ મોદીએ સ્ટાર્ટઅપના મહત્વ પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ સ્વચ્છ વાતાવરણ પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ વાત કરી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે કારણકે સરકાર યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચે છે, પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરે છે, લોકોને લાગે છે કે તે કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ આ મહિનાની શરૂઆતમાં ટિ્વટ કર્યું હતું કે, મને આ મહિનાની ૨૬ તારીખે મન કી બાત માટે ઘણાં ઇનપુટ મળી રહ્યા છે. આ ૨૦૨૧ની આખરી મન કી બાત હશે. ઇનપુટ અલગ-અલગ ક્ષેત્રોને આવરી લે છે અને પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા કેટલાય લોકોની જીવન યાત્રાનો ઉત્સવ મનાવે છે. પોતાના વિચારો શેર કરતા રહો. આ કાર્યક્રમમાં પીએમ મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે અને બાદમાં ઘણાનો ઉલ્લેખ તેમના કાર્યક્રમના માધ્યમથી કરે છે. તમે નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો. આ સિવાય, દ્બઅર્ખ્તદૃ.ૈહ પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે ૧૯૨૨ પર મિસ્ડ કોલ પણ કરી શકો છો અને જીસ્જીમાં મળેલી લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.