ભાવનગરમાં ૧૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોને પગલે થરથર ધ્રુજાવતી ટાઢ અકબંધ

321

ત્રણ દિવસથી યથાવત શીતલહેરને પગલે જનજીવન પ્રભાવિત : જિલ્લામાં શિયાળાની સિઝનનુ સૌથી નિચું તાપમાન ૧૦.૦૮ ડિગ્રી નોંધાયું
ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફૂંકાઈ રહેલા હિમ પવનોને પગલે શીતલહેર અકબંધ રહી છે. આ હાડ ગાળતી ઠંડીની લોકો પર વ્યાપક અસરો જોવા મળી રહી છે, ત્યારે આગામી પાંચ દિવસ આ વાતાવરણ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ૧૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોને પગલે ભાવનગર ઠંડુગાર થયું હતું. સમગ્ર રાજ્યમાં એક બાજુ કોરોના તેમજ બીજી બાજુ કાતિલ ઠંડીનો દૌર ચાલી રહ્યો છે. જમ્મુ-કશ્મીર સહિતના રાજ્યોમાં થઈ રહેલી અવિરત બરફ વર્ષાને પગલે હિમાલય પારથી આવતા ઠંડા પવનો સાથે થતી હિમવર્ષાથી તિવ્ર ઠંડી મેદાની વિસ્તારોમાં ગતિ કરી માત્ર આઠથી દસ કલાકના ટૂંકા ગાળામાં ત્રણ રાજ્યો પાર કરી ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાત પરથી આગળ અરબી સમુદ્ર તરફ આગળ ગતિ કરી રહ્યાં છે. આ ભેજ વિનાના પવનોની ગતિ યથાવત રહેતા રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝિટમા પહોંચ્યું છે. ભાવનગર જિલ્લો દરિયા કિનારે વસેલો છે. જેથી જિલ્લાનો મોટાભાગનો હિસ્સો મેદાની પ્રદેશ જેવો છે આથી ઠંડીનું મોજું ઝડપથી પ્રસરી જાય છે. ગઈકાલે જિલ્લામાં શિયાળાની સિઝનનુ સૌથી નિચું તાપમાન ૧૦.૦૮ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે રાત્રે ટાઢાબોળ પવન ઝંઝાવાતની જેમ ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી થરથર ધ્રુજાવતી “ટાઢ” અકબંધ રહી હતી. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા સતત પ્રયત્નો કરતાં નજરે ચડ્યાં હતાં.

Previous articleઆજે ૧૫૬ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર, ૪૨ કોરોનાને માત આપી
Next articleભાવનગરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમીત્તે રક્તદાન શિબિર અને વિવેકાનંદ સુત્રોનું પ્રદર્શન યોજાયું