કુલપતિ પેથાણી અને ઉપકુલપતિ દેસાણીના કાર્યકાળમાં જોવા મળેલ છાત્ર હિતની સર્વોપરિતા તેમજ મહામારીના સમયમાં શ્રેષ્ઠ સામાજિક ઉત્તરદાયિત્વ શિક્ષણ જગત માટે અનુકરણીય રહેશે
વિદાય લેતા સૌ.યુનિ.ના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીનું બોર્ડ ઓફ સ્ટડીઝના કાર્યકારી અધ્યક્ષ પ્રો.જયદીપસિંહ ડોડીયા, પૂર્વ ઉપાધ્યક્ષ ડો.મુકેશ ભેંસાણીયા, ડો.સીમાબેન ગીડા તેમજ ડો.નિહારિકા રાવત દ્વારા ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ડો.પેથાણી અને ડૉ.દેસાણીના કાર્યકાળમાં છાત્રહિતને સર્વોપરિતા આપવાનો અભિગમ બિરદાવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન ઈંગ્લીશના કાર્યકારી અધ્યક્ષ પ્રો.જયદીપસિંહ ડોડીયાના જણાવ્યા મુજબ ડો.પેથાણી અને ડૉ. દેસાણીના કાર્યકાળના વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઉકેલ માટે પરિણામલક્ષી પ્રયાસો થયા છે. કોરોના મહામારીના કપરા કાળ માં સૌ.યુનિ.ના કર્મચારી પરિવાર, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથેનો તેઓનો વ્યવહાર હંમેશા માનવતાવાદી રહ્યો છે. કોવિડ કેર સેન્ટર, કોવિડ હોસ્પિટલ, આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ લેબોરેટરી, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સેન્ટર, રસીકરણ માટેની ઝુંબેશ, સમાજના વિવિધ વર્ગોમાં વેક્સિનેસન અંગે પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસો એક સફળ અને સંવેદનશીલ પ્રશાશકો ને છાજે તેવા ગૌરવશાળી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અનેક પડકારો વચ્ચે પણ તેમના પદની ગરિમા આબેહૂબ જાળવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના વર્તમાન સત્તાધીશોની વિદાય વેળાએ વિદ્યાર્થીઓ, અધ્યાપકોથી લઈને શિક્ષણવિદો તેમને શુભેચ્છા પાઠવવા લાંબી કતારોમાં હોંશભેર જોવા મળ્યા હતા. જે તેમની કાર્યશૈલી,પ્રામાણિકતા, નિષ્ઠા અને ન્યાયપ્રિયતાના સૂચક છે.કુલપતિશ્રી તથા ઉપકુલપતિશ્રીના અભિવાદન વખતે પ્રો.જયદીપસિંહ ડોડીયા, ડો.મુકેશ ભેંસાણીયા, ડો.સીમાબેન ગીડા અને ડો.નિહારિકા રાવત હાજર રહ્યા હતા.