દેશમાં ૧૨-૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ કક્ષાની બેઠક કરી, જરૂર પડે અને ક્યાંય કેસમાં વધારો થાય તો સઘન તપાસના પણ આદેશ આપ્યા
નવી દિલ્હી, તા.૧૭
૧૬ માર્ચથી ગુજરાત સહિત દેશભરમાં ૧૨-૧૪ વર્ષના બાળકોન રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જેથી બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે. કોરોનાની ત્રીજી લહેર જે ગતિએ આવી તે જ ગતિએ ઠરી પણ ગઈ છે, પરંતુ હવે ચીન, હોંગકોંગ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશોમાં વધતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં ફરી કોરોના માથું ના ઉચકે તે માટે કેન્દ્ર સરકાર પણ સતર્ક બની ગઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, અન્ય દેશોમાં વધતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાય લેવલની બેઠક કરી છે, આ સાથે જરુર પડે અને ક્યાંય કેસમાં વધારો થાય તો સઘન તપાસના પણ આદેશ આપ્યા છે. બુધવારે મંત્રી મનસુખ માંડવિયા દ્વારા બુધવારે મહત્વની બેઠક કરવામાં આવી હતી, જેમાં કોરોનાની સ્થિતિ ભારતમાં ચાલતા રસીકરણ અભિયાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે ૨૭ માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી છે તે અંગે પણ મહત્વના મુદ્દાઓ ધ્યાને લેવા માટે જણાવ્યું છે. સૂત્રો જણાવે છે કે, આ અંગેના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે, આ બેઠકમાં ઉચ્ચ કક્ષાના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં સ્વાસ્થ્ય સચિવ, ફાર્મા સચિવ અને સરકારના મુખ્ય સાયન્ટિફિક એડવાઈઝર પણ જોડાયા હતા. આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલ, આઈસીએમઆરના ડિરેક્ટર બલરામ ભાર્ગવ, નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (એનસીડીસી)ના અધ્યક્ષ સુરજીત સિંઘ અને અન્ય અધિકારી જોડાયા હતા. ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રીજી લહેર સમી ગયા બાદ મોટો ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસ બે દિવસથી અઢી હજારની નજીક પહોંચી ગયા છે. ગુરુવારે ભારતમાં કોરોનાના નવા ૨,૫૩૯ કેસ નોંધાયા છે, જ્યારે ૪,૪૯૧ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી પાછલા ૨૪ કલાકમાં વધુ ૬૦ દર્દીઓના મોત થયા છે. ભારતમાં કોરોનાના હાલ કુલ એક્ટિવ કેસ ૩૦,૭૯૯ છે જે કુલ કેસની સામે ૦.૦૭% થાય છે. ભારતમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૦.૩૫% થઈ ગયો છે. દેશમાં કોરોનાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪,૨૪,૫૪,૫૪૬ થઈ ગઈ છે. દેશમાં વધુ ૬૦ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૫,૧૬,૧૩૨ થઈ ગયો છે.