આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ‘ઉદુલ ફીત્ર’નો તહેવાર ઉજવાશે : તમામ મસ્જીદોમાં ઇદની નમાઝ અદા કરાશે
દાઉદી વ્હોરા મુસ્લિમ બિરાદરો ગઇ કાલે રવિવારે પવિત્ર રમજાન માસના રોજા પુરા થતા આજે વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આજે વહેલી સવારે ૬ કલાકે ભાવનગર શહેર – ગામની અને બહારની બન્નને વ્હોરાવાડમાં આવેલી મસ્જીદોમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. દાઉદી વ્હોરા સમાજના આમીલ સાહેબ જનાબ શેખ મુર્તુઝાભાઈ મોરબીવાળાએ ઇદની નમાજ પઢાવી દુવાઓ કરી હતી. નમાઝ બાદ એક બીજાએ ગળે લાગી ઇદની મુબારકબાદી પાઠવી હતી. શહેરના કરચલીયા પરા અને ઘોઘા ખાતે આવેલા વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં જઇ મરર્હુમોની કબર ઉપર ફુલ ચડાવી દુવાઓ કરી હતી. ઘોઘા ખાતે આવેલી મસ્જીદમાં પણ ઇદની નમાઝ પઢાવવામાં આવી હતી. દાઉદી વ્હોરાસમાજની અજુંમને જમાત બુરાહાની કમીટીના આગેવાનો અને સભ્યોએ પણ એક બીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. આજે શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં ઇદ નિમિત્તે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેજ રીતે સમસ્ત મુસ્લિમ સમાજના મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમજાન માસના ૩૦ રોજા રાખવામાં આવ્યા હતા. આજે સોમવારે ૩૦ રોજા પુરા થતા આવતીકાલે ‘ઇદુલ ફીત્ર’ એટલે કે રમજાન ઇદની શ્રધ્ધાને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠી, સ્નાન કરી, નવા કપડા પહેરી, ઇદની નમાજ, અદા કરવા શહેર જીલ્લાના ઇદગાહ અને જુદી જુદી મસ્જીદોમાં જશે. નમાજ બાદ એક બીજા ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવશે ત્યાર બાદ શહેર જીલ્લાના કબ્રસ્તામમાં જઇ મરર્હુમોની કબર ઉપર ફુલ ચડાવી મરર્હુમોેના હકમાં દુવા કરશે. પોતાના ઘરમાં ખીરખુમો, પુરી સહીતની મીઠાઇ આપલે કરશે અને ઇદની મુબારકબાદી પાઠવશે. રમજાન માસના ૩૦ દિવસના રોઝાની આકરી કસોટીમાંથી પાર થયા બાદ અલ્લાહ તરફથી રોઝદાર નેક બંદાઓને ઇદની ઇદ રૂપી ભેટ અર્પણ કરવામાં આવી છે. ઇદ મુસ્લિમ બિરાદરોનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે.