નવી દિલ્હી,તા.૨૬
ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક સમયથી આવેલા ફેરફાર અંગે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે આઠ મહિનામાં છ કપ્તાન બદલાયા છે તેની યોજના નહોતી બનાવી, પરંતુ તેનાથી ગ્રુપને ઘણો ફાયદો થયો. તેનાથી ગ્રુપની અંદર રહેલાને પણ કેપ્ટન બનવા માટેની તક મળી. ટી૨૦ વિશ્વ કપ પછી રાહુલ દ્રવિડે નવેમ્બરમાં ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું.
કોરોનામાં આવેલી બબલ બ્રેક અને ઈજાઓને કારણે રાષ્ટ્રીય કેપ્ટન તરીકે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા (આર્યલેન્ડમાં ટીમનું નેતૃત્વ કરવાની)એ જવાબદારી સંભાળી હતી. રાહુલ દ્રવિડે જણાવ્યું કે આ સમય ઘણો પડકારજનક રહ્યો, કેમ કે ગત ૮ મહિનામાં અમે ૬ કેપ્ટન ઉતાર્યા, જે અમારી યોજના ન હતી. પરંતુ અમે જેટલી મેચો રમી રહ્યા છીએ, તેના કારણે આવું થયું છે. દ્રવિડે સ્વીકાર્યું કે એવો પણ સમય આવે છે, જયારે પરિસ્થિતિઓનો સ્વીકાર કરવો પડે છે. દ્રવિડે જણાવ્યું કે, ’કોવિડ-૧૯ને કારણે મારે કેટલાક લોકો સાથે કામ કરવું પડ્યું જે શાનદાર હતું. ઘણા ખેલાડીઓને ટીમનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો, અમને ગ્રુપમાં વધુ ’કેપ્ટન’ તૈયાર કરવાની તક મળી. તેમણે કહ્યું, ’અમે સતત વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ, અમે અલગ-અલગ લોકો સાથે ઘણો પ્રયાસ કર્યો. છેલ્લા આઠ મહિનામાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ટેસ્ટ ક્રિકેટ માટે થોડો નિરાશાજનક રહ્યો છે. દ્રવિડ ખુશ છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે બોલિંગની પ્રતિભા આગળ આવી છે. દ્રવિડના જણાવ્યા અનુસાર, ’અમારી પાસે સફેદ બોલનું સારું ક્રિકેટ છે, તે ટીમની ભાવના દર્શાવે છે. આઈપીએલ દરમિયાન ફાસ્ટ બોલિંગની પ્રતિભા જોવી ખૂબ જ સારી હતી, ખાસ કરીને કેટલાક બોલરો ખૂબ જ ઝડપે બોલિંગ કરતા હતા. દ્રવિડે કહ્યું, “ઘણા યુવાનોને તેમનું કૌશલ્ય બતાવવાની તક મળી અને કેટલાકે સારું પ્રદર્શન કર્યું છે, જે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ સારો સંકેત છે.”