ધંધુકા ગામે રહેતી અને મુળ નેપાળની સગીરાને ધંધુકાના શખ્સે અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યાની સગીરાના મામાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ, ધંધુકાના પુનીતનગરમાં રહેતી મુળ નેપાળની સગીરા જે રસોઈ કામ કરી ગુજરાન ચલાવતી હતી. આ સગીરાને ધંધુકા ગામે રહેતો વિજય વાલજીભાઈ કણજરીયા ગત તા.રપના રોજ અપહરણ કરી પ્રથમ બરવાળા ચોકડી પાસે અને સુરેન્દ્રનગરના ચુડા ગામે લઈ જઈ સગીરાની ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કરી નાસી છુટ્યો હતો. બનાવ અંગે સગીરાના મામાએ ધંધુકા પોલીસમાં ફરિયાદ આપતા પી.આઈ. વી.બી. જાડેજાએ તપાસ હાથ ધરી હતી અને આરોપી વિજય કણજરીયાને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી જેલહવાલે કરી દીધો હતો.