વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા પંચમહાલ જીલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા ફરી એકવાર આજે ગોધરા ખાતે વિવાદિત નિવેદન આપ્યું હતું. પ્રભાતસિંહએ જણાવ્યું કે આગામી ૩ ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચુંટણી તેઓ લડશે અને વિજયી પણ બનીશ. તેમજ પંચમહાલ જીલ્લામાં તેમને હરાવી શકે તેવું કોઈ છે નહિ, વધુમાં તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, વાઈન વગર ચુંટણી જીતી શકાતી નથી .
પંચમહાલ જીલ્લાના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ વિવાદિત નિવેદનો તેમજ ચુંટણી ટાણે ટીકીટ મેળવવા માટે પણ રાજકીય રમત રમવા માટે જાણીતા છે, ત્યારે આજે ગોધરા ખાતે તેઓ દ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે લોક જન શક્તિ પાર્ટી દ્વારા આજે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવાર્કારોના પડતર પ્રશ્નોને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ આવેદનપત્ર આપતા પહેલા લોક જન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કીટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અચાનક જ પંચમહાલ ના ભાજપ ના સાંસદ સભ્ય પ્રભાતસિંહ પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા.