ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની મુલાકાત કરી તેમને ગુજરાતમાં નિર્માણ થયેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિહાળવા આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
ઊર્જા મંત્રીએ બિહારના મુખ્યમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીરી પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક આ નિમંત્રણ પાઠવવા સાથે અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી ૩૧ ઓકટોબર-ર૦૧૮, સરદાર સાહેબની જન્મ જ્યંતિએ રાષ્ટ્રને અર્પણ થનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત માટે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને મહાનુભાવોને નિમંત્રણ આપવા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પદાધિકારીઓ સંબંધિત રાજ્યોની પ્રવાસ-મુલાકાત કરે છે.
તદ્દઅનુસાર, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ બિહારના પ્રવાસે છે, તેમની સાથે સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્યો હર્ષ સંઘવી, પિયુષભાઇ દેસાઇ, કિશોરસિંહ ચૌહાણ અને અરવિંદ પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા છે.
સૌરભભાઇ પટેલે બિહારના રાજ્યપાલ લાલજી ટંડન તેમજ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની પણ મુલાકાત કરી તેમને પણ નિમંત્રણ પાઠવ્યું હતું. ઊર્જા મંત્રીના નેતૃત્વ હેઠળ બિહાર પ્રવાસે ગયેલા આ પ્રતિનિધિમંડળે બિહારમાં વસતા ગુજરાતી સમાજના પરિવારો સાથે પણ બેઠક યોજી તેમને સરદાર સાહેબની વિશ્વની સૌથી ૧૮ર મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સરદાર જ્યંતિએ લોકાર્પણ ઐતિહાસિક દિવસ બની રહેશે તેની પણ ભુમિકા આપી હતી અને આ પ્રતિમા નિહાળવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.