ભાવનગરના વરતેજ સિદસર રોડ પર સવારના સમયે ઈન્ડીકા કારમાં ૩ મહિલા અને એક પુરૂષ બેભાન હાલતે મળી આવ્યા હતાં. બનાવની જાણ થતા ૧૦૮ એવા દ્વારા તમામને સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં અને ભાનમાં આવ્યા બાદ પુછપરછ કરાતાં તેઓ ત્રાપજ ગામેથી ઈન્ડીકા કારમાં ભાવનગર આવતા ત્યારે કારનો ચાલક અને એક અજાણ્યા વ્યકિતએ સોડામાં કોઈ કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી દઈ સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ શહેરના ઘોઘારોડ, રામનગરમાં રહેતા મંજુબેન ખાટાભાઈ વેગડ, હંસાબેન બારૈયા, સવુબેન લીલાંભાઈ કંટારીયા અને કાન્તીભાઈ પરશોત્તમભાઈ પરમારમ, ત્રાપજ ગામે આવડ માવાવાળા મીઠાઈ – ફરસાણની દુકાનમાં કામ કરતા હોય કામ પુર્ણ કરી ભાવનગર આવવા માળે રસ્તા પર ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ઈન્ડીકા કાર નં.જી.જે.૩ર બી. ૧ર૪૩ના ચાલક અને એક અજાણ્યા શખ્સે તમામને પેસેન્જર તરીકે કારમાં બેસાડી સોડામાં કોઈ કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી મહિલાઓએ પહેરેલા સોના-ચાંદીના દાગીના કિ.રૂા. ૧ લાખ ૮પ હજાર અને રૂા. ૩પ૦૦ રોકડાની લૂંટ ચલાવી તમામને કાર સાથે સિદસર- વરતેજ રોડ પર આવેલ આશાપુરા હોટલ પાસે દોડી જઈ ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે ખાટાભાઈ સવજીભાઈ વેગડે વરતેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આઈ.ડી.જાડેજાએ હાથ ધરતા ઈન્ડીકા કાર સોમનાથ ગામના એક સાધુની હોવાનું અને બે દિવસથી કારનો પત્તો ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બનાવની જાણવા ભરી તપાસ હાથ ધરી છે.