મહારાષ્ટ્રના ભાજપ સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે અહેમદનગર ખાતે રેલીને સંબોધતા મરાઠાઓને ૧લી ડિસેમ્બરના રોજ ઉજવણી માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે. જેના કારણે મરાઠાઓને ૧૬ ટકા જેટલી અનામત અલગથી મળે તેવી વાત છે. તેમની આ જાહેરાતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ફરીથી બળ મળે તેમ લાગી રહ્યું છે કારણકે ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે,મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર જો મરાઠાઓને ૧૬ ટકા જેટલી અનામત આપી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર પાટીદારોને શા માટે નથી આપી રહી, બીજી તરફ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મહારાષ્ટ્રના મોડેલ અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને સકારાત્મક વિચારણા કરવામાં આવશે. ‘પાસ’ સંયોજક એક પક્ષની બે અલગ-અલગ સરકારો, બન્નેની વિચારસરણીમાં કેટલો ફરક છે તે આ નિર્ણયથી સાબિત થાય છે.
મહારાષ્ટ્ર સરકાર જો મરાઠાઓની અલગથી અનામતની માગણી સ્વીકારી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં, આગામી બે દિવસમાં ‘પાસ’ દ્વારા પાટીદાર આગેવાનો અને કાર્યકરોની બેઠક રાખી છે.
જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળશે તો અમે પણ અનામત લઈને જ ઝંપીશુ. અમે ઓબીસી કમિશનને અરજી કરી છે. સરકાર પાસે અમારી માગ છે કે કમિશનનો સરવે સંપન્ન કરાવીને તે જાહેર કરે.