એટીએસને સફળતા : આખરે વાપીમાં નકસલીની અટકાયત

687

ગુજરાત એટીએસ દ્વારા એક બહુ મહત્વના ઓપરેશનમાં માઓવાદી સંગઠનના બિહારના જિલ્લાના ઝોનલ કમાન્ડર રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદની વાપીથી ધરપકડ કરી હતી, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હકતી. વાપીમાં આવેલા એક કારખાનામાં છેલ્લા કેટલાક મહિનાથી નામ છૂપાવી આ નકસલી નોકરી કરતો હતો. એટીએસની ટીમે આરોપી નકસલી રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદની ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ કરી છે. ખાસ તો, આ નકસલી સીઆરપીએફના ૧૦ જવાનોની હત્યાઓમાં સામેલ હોઇ આગામી દિવસોમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે. ગુજરાતની એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાપીના એક કારખાનામાંથી બિહારના બહોરમા ગામના રહેવાસી રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદ મોચીની ધરપકડ કરી હતી. આરોપી ભારત કોમ્યુનિષ્ટ પાર્ટી (માઓવાદી) સાથે સંકળાયેલો છે. ૨૦૦૨માં જ્યારે તે ૧૭ વર્ષનો હતો ત્યારે કૌટુંબિક જમીનની વિવાદમાં સ્થાનિક તંત્રથી નારાજ થઈ માઓવાદી લોહાસિંગ અને ભોલા માંજી સાથે સંપર્કમાં આવ્યો હતો. તેમની મદદથી વિવાદનો ઉકેલ લાવી દેશદ્રોહી પ્રવૃતિઓમાં જોડાયો હતો.

માઓવાદી સંગઠનને મજબૂત બનાવવા માટે ધંધાદારીઓ અને ઠેકેદારો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જેના કારણે માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટીના ઈન્ચાર્જ પ્રદ્યુમ્ન શર્માએ તેને ઝોનલ કમાન્ડર બનાવ્યો હતો. ૨૦૧૬માં રાજેશ, અનિલ યાદવ , ચંદન નેપાળી સહિત અન્ય માઓવાદીઓએ બિહારના જંગલ વિસ્તારમાં એલઇડી બલાસ્ટ કરી સીઆરપીએફના દસ જવાનોની હત્યા કરી હતી. માર્ચ ૨૦૧૭માં ગયાના ગુરપા જંગલમાં માઓવાદીઓને પકડવા ગયેલી સીઆરપીએફની કોબ્રા બટાલિયન પર પણ તેઓએ ઓટોમેટિક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ચાર માઓવાદી ઠાર થયા હતા. આ મુઠભેડમાં રાજેશને હાથમાં ગોળી વાગતાં ત્યાંથી નાસી જઈ અન્ય જગ્યાએ ઓળખ છુપાવી રહેતો હતો. ૨૦૧૮માં દમણમાં આવીને રાજેશે ગોપાલપ્રસાદ નામ ધારણ કરી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતો હતો. બાદમાં વાપીમાં એક કારખાનામાં નોકરી કરવા લાગ્યો હતો. માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટીના ઈન્ચાર્જ પ્રદ્યુમ્ન શર્માનો જમણો હાથ તરીકે રાજેશ ગણાય છે. હાલમાં ગુજરાતમા માઓવાદી સંગઠનની પ્રવૃત્તિ અંગે એટીએસે તેની પૂછપરછ શરૂ કરી છે. ટુંકમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે.

Previous articleવડાપ્રધાન મોદીએ સોમનાથના સીજીડી પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું, ૧૦૦ ટકા ગેસ કનેક્ટિવિટી સિદ્ધ
Next articleદેવદીવાળી-ગુરુનાનક જયંતીની આસ્થા સાથે ઉજવણી