પરિણામ બાદ આજથી કોંગીની ત્રિદિવસીય ચિંતન શિબિર થશે

910
guj20-12-2017-1.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આવતીકાલથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે મળવા જઇ રહી છે. તા.૨૦થી ૨૨ ડિસેમ્બર સુધી એમ ત્રણ દિવસની આ ચિંતન શિબિરમાં આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણો અને ફેકટરની સમીક્ષા અને મનોમંથન થશે. ચિંતન શિબિરમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હારી ગયેલા સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહેશે. તો, તા.૨૨મી ડિસેમ્બરે ચિંતન શિબિરના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તેમાં ભાગ લેવા આવે તેવી શકયતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તાનું શાસન જમાવીને બેઠેલી ભાજપ ફરી એક વખત પોતાની સત્તા બચાવવામાં સફળ થઇ ગઇ, જેની સામે કોંગ્રેસ આ વખતે તેની તરફેણનું વાતાવરણ હોવાછતાં અને હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ ત્રણેય આંદોલનકારી યુવા નેતાઓનો સાથ અને પીઠબળ મળવા છતાં સત્તા સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. અલબત્ત, કોંગ્રેસ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે જોરદાર રીતે અને મર્દાનગીથી લડયું એટલી હદે કે, એક તબક્કે ભાજપને હંફાવી દીધુ હતું અને પાછળ પાડી દીધુ હતુ પરંતુ ભાજપે મોદી લહેર અને અમિત શાહની રણનીતિના સહારે પોતાની સત્તા બચાવી લીધી. કોંગ્રેસ કયાંય કાચી પડી, જેના કારણે ભાજપને સરકાર રચવા માટે જરૂરી ૯૨ ધારાસભ્યોના લક્ષ્યાંક કરતાં સાત બેઠકો વધુ મળતાં કોંગ્રેસના સત્તામાં આવવાના અને સરકાર રચવાના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું. બીજું કે, આ વખતે કોંગ્રેસ છેલ્લા ૨૨ વર્ષના ઇતિહાસમાં ભાજપને જોરદાર ટક્કર આપી સત્તામાં આવી શકે તેમ હતું. કારણ કે, પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ, ઓબીસી આંદોલનના યુવા નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતાના આંદોલનકારી યુવા નેતા જીગ્નેશ મેવાણીના ખુલ્લો ટેકો કોંગ્રેસને હતો તો, ગુજરાતમાં એવુ પહેલીવાર બન્યું હશે કે જયારે સત્તાધારી ભાજપ સામે લોકોમાં ખુલ્લો અને ઉગ્ર આક્રોશ હતા છતાં આ તમામ તરફેણવાળા સંજોગોનો ફાયદો કોંગ્રેસ કેમ ઉઠાવી ના શકી અને જીતની નજીક આવીને હારી ગઇ તે ગંભીર મુદ્દો પણ ચર્ચાશે. જેથી હવે કયા કારણોથી આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે, તેની પાછળના કયા કારણો અને પરિબળો જવાબદાર છે, કયું ફેકટર કામ કરી ગયું અને કોંગ્રેસની નેતાગીરી કે સંગઠન કયાં ઉણા ઉતર્યા તે સહિતના પ્રશ્નોનો જવાબ શોધવા આવતીકાલથી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવા જઇ રહી છે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સહિતના સિનિયર નેતાઓ અને પદાધિકારીઓ ખાસ હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ સ્થાનિક નેતાઓ અને જિલ્લાના પદાધિકારીઓ પાસેથી હારના કારણોનું ફીડબેક મેળવશે અને તેની પર મનોમંથન કરશે. તા.૨૨મી ડિસેમ્બરે છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં આવે તેવી શકયતા છે. બેઠકમાં માત્ર સાતથી આઠ બેઠકોનો પનો કયાં ટૂંકો પડી ગયો તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર હશે અને તેના પર કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો દ્વારા ઉંડુ ચિંતન અને સંશોધન હાથ ધરાશે કે જેથી ભવિષ્યમાં આવી કોઇ ચૂક કે કચાશ રહી ના જાય.

Previous article સલામતી માટે ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ જારી
Next articleકોંગ્રેસ ઉમેદવાર ની હાર થતા ટેકેદારે માથા નું મુંડન કરાવ્યું