ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ મહાકુંભ શરૂ થવાના દિવસો ગણાઇ રહ્યાં છે. આઈસીસી વિશ્વકપમાં ભાગ લેનારી તમામ ૧૦ ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે પોત ટીમો ઈંગ્લેન્ડ પહોંચવા લાગી છે. તો પૂર્વ ક્રિકેટર અને સક્રિય ક્રિકેટર અત્યારથી અટકળો લગાવી રહ્યાં છે કે આ વખતે ચેમ્પિયન કોણ બનશે. આજ રીતે ભારતની સૌથી સીનિયર સક્રિય મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વીટ કરીને ભારતીય ટીમને શુભકામના આપી છે. તેણે કહ્યું, ૧૯૮૩ અને ૨૦૧૧ આપણા માટે ગર્વની ક્ષણ હતી. આ વખતે પણ તેનાથી અલગ નહીં હોય.
૩૬ વર્ષની મિતાલી રાજ દેશની એકમાત્ર ક્રિકેટર છે, જેનું આંતરરાષ્ટ્રીય કરિયર વર્ષ ૨૦૦૦થી શરૂ થયું હતું અને તે હજુ પણ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. આમ તો હરભજન સિંહનું કરિયર પણ ૧૯૯૮માં શરૂ થયું હતું, પરંતુ તે ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર છે.
મિતાલી રાજે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ૫૦થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. તે ભારતીય વનડે ટીમની કેપ્ટન પણ છે.