વર્લ્ડ કપમાં હાર બાદ શ્રીલંકામાં હાહાકાર મચી ગયો છે. એક તરફ ટીમની ટીકા થઈ રહી છે તો બીજી તરફ આખા કોચિંગ સ્ટાફને બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. શ્રીલંકા મીડિયાના સમાચાર પ્રમાણે રમત ગમત મંત્રીએ ક્રિકેટ બોર્ડના તમામ કોચિંગ સ્ટાફનું રાજીનામું લઈ લેવાનો આદેશ કર્યો છે.શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ આ વાતની પુષ્ટિ કરી છે કે કોચિંગ સ્ટાફના રાજીનામા લઇ લેવા પર વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે તે દેશની બહાર છે, અને પરત ફર્યા બાદ રમત ગમત મંત્રી સાથે વાત કરશે. એવામાં હવે જોવું રહ્યું કે મંત્રીના આવા આદેશની ટીમ પર શું અસર પડશે. હકીકતમાં આ જ મહિના બાંગ્લાદેશે બાંગ્લાદેશ સામે સીરીઝ રમવાની છે. અધ્યક્ષ શમ્મી સિલ્વાનું કહેવું છે કે આ પ્રકારના નિર્ણયની કોઈ અસર ખેલાડીઓ પર નહીં પડે.
શ્રીલંકાની ટીમમાં હાલ ચંદ્રિકા હાથગુરુસિંઘે હેડ કોચ છે. તેમણે જાન્યુઆરી ૨૦૧૮માં આ જવાબદારી સંભાળી હતી. તેમનો કોન્ટ્રાક્ટ ખતમ થવામાં હજી ૧૬ મહિના બાકી છે. જોન લેવિસ શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ છે. જ્યારે ફિલ્ડિંગ કોચ સ્ટીવ રિક્શન છે. આ વખતે વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમ નવમાંથી ફક્ત ત્રણ મેચ જીતી શકી હતી. ટીમ છઠ્ઠા નંબરે રહી હતી.