વર્લ્ડ કપ બાદ અત્યારે સૌથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસને લઇને ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ ધોનીને લઇને મોટું નિવેદન આપી દીધું છે.
એક વાત-ચીત દરમિયાન ગંભીરે કહ્યું કે, “ધોનીએ વર્ષ ૨૦૧૨માં જ આ નિર્ણય લઇ લીધો હતો કે હું, સેહવાગ અને સચિન ૨૦૧૫માં થનારો વર્લ્ડ કપ નહીં રમીએ. આ ઉપરાંત તેણે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર સ્પષ્ટ રીતે એ નિવેદન આપ્યું હતુ કે તે પ્લેઇંગ ઇલેવનમાં સચિન, ગંભીર અને સેહવાગને એક સાથે તક નહીં આપી શકે.
ગૌતમ ગંભીરે દાવો કર્યો કે, “એમએસ ધોનીએ વર્ષ ૨૦૧૨માં કહ્યું હતુ કે સચિન, સેહવાગ અને ગંભીરને એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં નહીં રમાડવામાં આવે કેમકે તેમની ફીલ્ડિંગ સારી નથી. ધોનીનું આવુ કહેવું મારા માટે ઝાટકા સમાન હતુ. આ કોઇપણ ક્રિકેટર માટે એક ઝાટકા સમાન હોત. મે ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ તમને વર્ષ ૨૦૧૨માં જ જણાવી દે કે તમે ૨૦૧૫નો વર્લ્ડ કપ નહીં રમો.
મને હંમેશા લાગતુ હતુ કે જો તમે રન બનાવી રહ્યા છો તો ઉંમર એક નંબર છે.”
ગૌતમ ગંભીરે એ પણ કહ્યું કે, “ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે. જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે તે પણ ભવિષ્ય તરફ જોતો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભવિષ્યનાં ખેલાડીઓ પર દાવ લગાવ્યો અને તેણે ઇમોશનલ નહીં, પરંતુ પ્રેક્ટિલ નિર્ણય લીધો હતો. ગૌતમ ગંભીરે કહ્યું કે, “હવે ઋષભ પંત, સંજૂ સેમસન અને ઇશાન કિશન જેવા વિકેટકીપર્સ પર ધ્યાન લગાવવાનો સમય છે. તેમને એકથી દોઢ વર્ષનો સમય મળવો જોઇ અને જો તેઓ સારું પ્રદર્શન ના કરે તો બીજા ખેલાડીને તક મળવી જોઇએ.