ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષે ૧૮૯ જેટલી વાજબી ભાવની દુકાનોમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૨ દુકાનોમાં ગેરરિતીઓ પકડાઈ હતી.
જિલ્લામાં અનેક ગામડાંઓમાં રેશનીંગના દુકાનદારો દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની તથા ગેરરિતીઓ કરાતી હોવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. જોકે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં ૧૭૨ દુકાનોને તાકીદ આપવામાં આવી છે અને ૪૫૦૦નો દંડ વસુલ કર્યો છે.
જિલ્લામાં તાજેતરમાં જ પેથાપુર તથા માણસાના વ્યાજબી ભાવના દુકાનદારો વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ખાસ કરીને દુકાનદારો દ્વારા પોતાની મનમાની કરવામાં આવતી હોય છે. દુકાન ગમે ત્યારે મનસ્વી રીતે ખોલવી, અનાજ, કેરોસીન સહિતની રેશનીંગની વસ્તુ વજનમાં ઓછું આપવા સહિતની ગોલમાલ દુકાનદાર દ્વારા કરાતી હોય છે. રેશનીંગનો જથ્થો ઓછો આપવા જેવી છેતરપીંડી વ્યાપક પ્રમાણમાં કરાતી હોય છે.
ઘણીવાર અનાજનો જથ્થો નથી આવ્યો તેમ કહીને ગ્રાહકને કાઢી મુકવામાં આવતા હોય છે. જિલ્લા પુરવઠા તંત્ર સમક્ષ લેખિતમાં ફરિયાદો કરાતી હોય છે.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ગત વર્ષે જિલ્લાની ૧૮૯ વાજબી ભાવની દુકાનોમાં પુરવઠાની ટીમે ત્રાટકીને તપાસ હાથ ધરી હતી જેમાં ૧૮૨ દુકાનદારો ગોલમાલ કરતાં હોવાનું માલુમ પડયું હતું. આ ૧૮૨ દુકાનોમાં જુદાજુદા પ્રકારની ગેરરિતીઓ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને કાર્ડધારકોને અનાજનો જથ્થો નિયમ મુજબ આપવાના બદલે ઓછો અપાતો હોવા સહિતની ગેરરિતીઓ આચરવામાં આવતી હતી.
વધુમાં કેટલાક દુકાનદારો મહિનામાં ગમે ત્યારે દુકાન ખોલતાં હતા કે સમયની પણ કોઈ ચોક્કસતા જળવાતી ન હતી. જેથી ઘણા કિસ્સામાં ગ્રાહકોને મહિનાનો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેવું પડે તેવી પણ સ્થિતી સર્જાતી હતી. તપાસ દરમિયાન જોવા મળેલી ગેરરિતાઓ અન્વયે ૪૫૦૦ રૂપિયાનો દંડ કરવા ઉપરાંત ૧૭૩ દુકાનોને તાકીદ આપવામાં આવી હોવાનું સરકારે પુરવઠા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.