વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે રાજકોટની મુલાકાત લેવાના છે. જ્યાં તેઓ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને તેઓ એઈમ્સનું ખાતમુહૂર્ત કરવાના છે. મોદી સરકારના પ્રથમ પાંચ વરસમાં ગુજરાતમાં અનેક પ્રોજેકટ મંજુર થયા છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ટર્મમાં રાષ્ટ્રિય કક્ષાની અતિ આધુનિક આરોગ્ય સુવિધા અને ટેલન્ટ ધરાવતી એઇમ્સ હોસ્પિટલ આપવાનું જાહેર કર્યુ હતું. આ એઇમ્સ હોસ્પિટલના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે. રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતને ગૌરવ લેવા સમાન એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થશે.ગાંધી જયંતિના દિવસે જ વડાપ્રધાન મોદી અમદાવાદ સ્થિત સાબરમતીના કિનારે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત કરવાના છે. તો રાજકોટમાં વડાપ્રધાન મોદી કબા ગાંધીના ડેલાની મુલાકાત લેવાના છે. કબા ગાંધીના ડેલામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બાળપણ વિત્યુ હતું.