અડાજણમાં આનંદ મહેલ રોડ પર રહેતા તરૂણ ઓમપ્રકાશ સદાના (૪૩ વર્ષ) સલાબતપુરામાં મોટી બેગમવાડી સ્થિત શુભમ માર્કેટમાં મંગલ ક્રિએશનના નામથી કાપડનો વેપાર કરે છે. તેમની દુકાનમાં જ ઇરફાન નામનો કર્મચારી કામ કરે છે. નિત્યક્રમ અનુસાર શુક્રવારે સાંજે તરૂણ સદાના અને કર્મચારીઓ દુકાન હાજર હતા. તે સમયે ઇરફાને તરૂણ સાથે કોઈ મુદ્દે ઝગડો કર્યો હતો. ત્યાર બાદ ઇરફાન ત્યાંથી રવાના થઇ ગયો હતો. કોઈ કામ અર્થે તરૂણભાઈ પણ દુકાનની બહાર નિકળ્યા હતા. પાંચેક મિનિટમાં ઇરફાન અન્ય એક યુવકની સાથે માર્કેટમાં આવીને દુકાનની બહાર તરૂણ સાથે ફરી ઝગડો કરી ઇરફાને તરૂણને પેટના ભાગે બે-ત્રણ ઘા મારી દીધા હતા. ઇરફાન અને તેનો સાગરિત ત્યાંથી નાસી ગયો હતો. ઇરફાનને મારેલું ચપ્પુ તરૂણના પેટમાં જ હતું. તરૂણ દુકાનમાં ઘુસ્યા ત્યારે ચપ્પુ નીચે પડ્યું હતું. આ બનાવથી માર્કેટમાં દોડધામ થઈ ગઈ હતી. તરૂણ સદાનાને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મોડી રાત્રે તરૂણ સદાનાનું ઓપરેશન હાથ ધરાયું હતું.
મોટી બેગમવાડીમાં આવેલા હરિઓમ શુભમ માર્કેટના અંડરગ્રાઉન્ડમાં વેપારીને ચપ્પુ મારીને કરેલી હત્યા બાદથી માર્કેટના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધી રોજીંદા રુટીનમાં વેપારીઓના કાપડ ચોરી થવાની કે પર્સ ચોરી થવાની ઘટના સામે આવતી હતી. પ્રથમ વખત માર્કેટમાં મર્ડરની ઘટના સામે આવતાં વેપારીઓ ભયભિત બન્યા છે. માર્કેટની સિક્યુરિટી પર પણ પ્રશ્ન ઉચકવાની સાથે માર્કેટ વિસ્તારમાં પોલીસની સાથો-સાથ પર્સનલ સિક્યુરિટી સર્વિસ સેવા એક્ટીવ થાય તેવી રાવ થઈ રહી છે.