તાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી રૂપાણી સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો

862

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે મહુવાના પઢિયારકા ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ’ તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ મહુવાના પઢિયારકા ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો. તેમણે પઢિયારકાના સરપંચ રેખાબેન બારૈયા અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સંવેદનાપૂર્વક સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશપુરી પણ આ વેળાએ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિજયભાઇ રૂપાણીએ પઢિયારકા ગામમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા બાદ મહુવા પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી.
આ સિવાય વાવાઝોડાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ઉના,જાફરાબાદ,રાજુલા અને મહુવા તાલુકામાં ઝડપથી સર્વે કરી ઘરવખરી, કેશ ડોલ્સ ની ચુકવણી કરવામાં આવી રહી છે. તેમને વધુમાં ઉમેર્યું કે ભાવનગર,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે રાજ્યની તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ યુદ્ધ ના ધોરણે કામગીરી કરી રહ્યા છે.જેથી આગામી બે થી ત્રણ દિવસમાં તમામ ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે.મહુવામાં આજ રાત સુધીમાં જ વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. મુખ્યમંત્રીએ ગરીબ વર્ગના લોકો સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ મહુવા નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાનાં ગામોમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવા અને જ્યાં વીજ પુરવઠો નથી તેવા વિસ્તારોમાં ડી.જી.સેટ લગાવી પાણી પુરવઠો શરૂ કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવારીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યો આર.સી.મકવાણા, નારણભાઈ કાછડીયા, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મહુવા હેલીપેડ ખાતે આગમન સ્વાગત કરાયું
Next articleરેડક્રોસ દ્વારા કોરોના મહામારી અને તોઉ-તે વાવાઝોડાને કારણે ઝૂંપડાઓના નાશ થયેલા લોકો માટે વિવિધ ચીજવસ્તુઓની સહાય