સામાન્ય લોકો નહીં પણ વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું કામ જોઈ રહેલા પ્રશાસનના લોકોને વર્તમાન ગાઈડલાઈન્સથી ચોક્કસ મદદ મળી શકશે
નવી દિલ્હી,તા.૫
ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ નકલી કોરોના વેક્સિન લગાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. આવી ઘટનાઓ પર લગામ કસવા માટે સરકાર પ્રશાસન ઉપરાંત સામાન્ય લોકોને પણ જાગૃત કરી રહી છે. ભારતમાં લગાવાઈ રહેલી કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીની અસલીયત કેવી રીતે પારખવી તે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. સામાન્ય લોકો ભલે વેક્સિન અસલી છે કે નકલી તે અંગે જલ્દી ન સમજી શકે પરંતુ વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું કામ જોઈ રહેલા પ્રશાસનના લોકોને વર્તમાન ગાઈડલાઈન્સથી ચોક્કસ મદદ મળશે. એડિશનલ સચિવ મનોહર અગનાનીએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના તમામ એડિશનલ મુખ્ય સચિવો અને પ્રધાન સચિવો (સ્વાસ્થ્ય)ને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિનના ઉપયોગ પહેલા તેને સાવધાનીપૂર્વક પ્રમાણિત કરવાની જરૂર છે. સાથે જ અસલી કોરોના વેક્સિન કેવી રીતે ઓળખવી તે પણ જણાવવામાં આવ્યું છે. કોવિશિલ્ડ વેક્સિન માટે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનું લેબલ, એસઆઈઆઈ લેબલ ઘાટા લીલા રંગનું હશે. ઘાટા લીલા રંગની એલ્યુમિનિયમ ફ્લિપ-ઓફ સીલ હશે. બ્રાન્ડનું નામ કોવિશિલ્ડ ટ્રેડમાર્ક સાથે લખ્યું હશે. જેનરિક નામનું ટેક્સ્ટ ફોન્ટ બોલ્ડ અક્ષરોમાં નહીં હોય. સીજીએસ નોટ ફોર સેલ પ્રિન્ટ હશે. કોવેક્સિન પર લેબલ પર દેખાય નહીં તેવું (અદૃશ્ય) યુવી હોલિક્સ હશે જે ફક્ત યુવી લાઈટ્સમાં જ જોઈ શકાય. કોવેક્સિનનો એક્સ બે રંગોમાં હશે. તેને ગ્રીન ફોઈ ઈફેક્ટ કહે છે. સ્પુતનિક-વી રૂસના ૨ અલગ અલગ પ્લાન્ટથી આયાત થાય છે માટે તેના લેબલ અલગ અલગ જોવા મળશે. લેબલ પર આપવામાં આવેલી જાણકારી અને ડિઝાઈન તો એકસરખી હશે, બસ પ્લાન્ટનું નામ અલગ અલગ હશે. અત્યાર સુધી જે સ્પુતનિક-વી આયાત થઈ છે તે ૫ શીશીઓવાળા પેકેટમાં આવી છે અને તે બંડલ પર ઈંગ્લિશમાં નામ લખેલું હોય છે.