ભારતીયોને પાછા લાવવા સરકાર બે વિમાન મોકલશે

56

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી) બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવાયો
નવી દિલ્હી, તા.૨૫
યુક્રેનમાં ગુજરાતીઓ સહિત ભારતના ૧૫૦૦૦ જેટલા નાગરિકો ફસાયા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. બીજી તરફ યુક્રેનમાં રહેલા ભારતીયો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. યુક્રેનમાં રહેલા નાગરિકો ભારતમાં પોતાના સગા સાથે તથા મીડિયા સાથે વીડિયો કૉલથી સંપર્કમાં રહી રહ્યા છે. આવામાં મોદી સરકાર પણ હવે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કાર્યવાહી શરુ કરી દીધી છે. યુદ્ધના કારણે યુક્રેનમાં ઉભી થયેલી ગંભીર સ્થિતિને જોતા સરકાર આ અંગે બેઠક કરીને કોઈ મહત્વના નિર્ણય લેવાનું શરુ કરી દીધું છે. જેમાં આજે એર ઈન્ડિયાની બે ફ્લાઈટ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોટા પ્રમાણમાં રશિયા-યુક્રેનના યુદ્ધના લીધે યુક્રેનમાં ગુજરાતી અને ભારતના અન્ય સ્થળોના વિદ્યાર્થીઓ સહિત ઘણાં લોકો ફસાયેલા છે. ભારત સરકાર આ નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી) બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને પરત લાવવા માટે જે સ્પેશિયલ વિમાન મોકલવામાં આવશે તેનો તમામ ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવા રિપોર્ટ્‌સ સામે આવી રહ્યા છે. યુક્રેનમાં હજારોની સંખ્યામાં મેડિકલ સ્ટૂડન્ટ્‌સ અને અન્ય નાગરિકો ફસાયેલા છે. ભારતના યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે આજે રાત્રે બે ફ્લાઈટ રવાના થવાની છે. એર ઈન્ડિયાની બે ફ્લાઈટ દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની કામગીરી કરવામાં આવશે. એટલે કે જે ભારતીય નાગરિકો રામાનિયા-યુક્રેનની બોર્ડર પર પહોંચવામાં સફળ રહેશે તેમને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અહીંથી બુખરેસ્ટ એરપોર્ટ પરથી ભારતીય નાગરિકોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે એવી પણ વિગતો સામે આવી રહી છે કે વિદેશ મંત્રાલય દ્વારા રોમાનિયા-યુક્રેન બોર્ડર પરથી બુખરેસ્ટ એરપોર્ટ પર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રિપોર્ટમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે, ૨૦ હજાર જેટલા ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, જેઓ યુદ્ધના સમયમાં બંકરોમાં રહી રહ્યા છે. એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ સીસીએસ બેઠક યોજી હતી. ભારતે કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉના રિપોર્ટ્‌સ મુજબ, ભારતે નાગરિકોને પરત લાવવાના ઓપરેશન અંગે પણ વાત કરીને તમામ ખર્ચ ઉઠાવવાનું જણાવ્યું હતું.

Previous articleરશિયાના પાટનગર મોસ્કો સહિત ૫૧ શહેરોમાં વિરોધ
Next articleસેન્સેક્સમાં ૧૩૨૯, નિફ્ટીમાં ૪૧૦ પોઈન્ટનો ઊછાળો આવ્યો