જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને યોગ્ય ઠેરવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, રાજ્યમાં આ શાસન બિલકુલ યોગ્ય છે. રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અન્ય કોઇ વિકલ્પ રહ્યા ન હતા. કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે, કોઇપણ રાજકીય પક્ષ અથવા ગઠબંધને રાજ્યમાં સરકારની રચના કરવા માટેનો દાવો કર્યો ન હતો. અલબત્ત સરકારે લોકસભામાં આ સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યુું હતું કે, અમે ટૂંક સમયમાં જ રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. સંસદમાં એક પ્રસ્તાવ દરમિયાન ચર્ચાનો જવાબ આપતા રાજનાથસિંહે કહ્યું હતું કે, ભાજપે કોઇપણ પક્ષની સાથે મળીને સરકારની રચના કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા નથી. કોઇ ક્ષેત્રિય પક્ષ સાથે ભાજપે સંપર્ક કર્યો હોવાના અહેવાલને પણ રદિયો આપ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં બંધારણની કલમ ૩૫૬ લાગૂ કરવાના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કોઇપણ ખોટા અથવા તો અનૈતિક કાર્ય આ સરકાર હેઠળ થઇ શકશે નહીં. રાજ્યમાં ચૂંટણીને લઇને તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચ આ અંગે નિર્ણય લેશે.