ધોળકા બેઠકની ચૂંટણી વેળા ગેરરીતિ થયાનું કોર્ટનું તારણ

700

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રિટ અરજીને પડકારતી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રાજય ચૂંટણી પંચ, તત્કાલીન ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) અને ચૂંટણી રિટર્નીંગ ઓફિસર વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટ સમક્ષ થયેલી જુબાની દરમ્યાન કેટલીક બાબતોમાં ગેરરીતિ થયાનું ધ્યાન પર આવ્યું છે. હાઇકોર્ટે કેટલાક અગત્યના મુદ્દાઓ પણ નોંધ્યા હતા.

હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.  રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી કોગ્રેસના ઉમદેવાર અશ્વિન રાઠોડ દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી ૩૨૭ મતે વિજય થયો હતો. આ ચૂંટણી દરમ્યાન ઘણી બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી.

જેમાં ખુદ ચૂંટણી રિટર્નીંગ ઓફિસર અને ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) ભૂમિકા શંકાસ્પદ રહી હતી. રિટર્નીંગ ઓફિસરે ખોટી રીતે પોસ્ટલ બેલેટના ૪૨૭ મતો રદબાતલ ઠરાવ્યા હતા.

એટલું જ નહી, ચૂંટણી દરમ્યાન મોબાઇલ પ્રતિબંધિત હોવાછતાં ખુદ ચૂંટણી અધિકારી મોબાઇલ પર વાત કરતાં નજરે પડતા હતા. કેટલાક પોલીંગ બુથમાં મતો હોવાછતાં તેને ધ્યાનમાં લેવાયા ન હતા. સમગ્ર ચૂંટણી દરમ્યાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જેને પગલે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે વિજયી જાહેર થયા હતા. વાસ્તવમાં, ધોળકા બેઠકપર ૧,૫૯,૯૪૬ મત પડ્‌યા હતા જ્યારે, મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આમ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે ચૂંટાયેલા જાહેર થયા હતા. જો પોસ્ટલ બેલેટ અને ઇવીએમમાં પડેલા અને ગણતરીમાં નહી લીધેલા મતો ગણતરીમાં લેવામાં આવે તો અરજદાર જીતી શકે તેમ છે. તેથી હાઇકોર્ટે ચૂંટણીમાં રિકાઉન્ટીંગનો હુકમ કરી જો અરજદાર જીતે તેમ હોય તો તેમને વિજેતા જાહેર કરવા જોઇએ. દરમ્યાન આજે કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આ કેસમાં કોર્ટના રેકર્ડ પર લેવાયેલી જુબાની પરથી ચૂંટણી દરમ્યાન કેટલીક બાબતોમાં ગેરરીતિ થઇ હોવાનું તારણ આપ્યું હતું અને આ મુદ્દે કેટલાક મહત્વના અવલોકન કર્યા હતા.

Previous articleકોંગ્રેસના ઘોષણાપત્રમાં આફ્સા, રાજદ્રોહને ખતમ કરવા માટે વચન
Next articleરેશ્મા પટેલ એનસીપીમાં જોડાયા, માણાવદર બેઠક પરથી લડશે પેટાચૂંટણી