વિશ્વ કપ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે વિશ્વ કપની ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના હાથમાં ફ્રેક્ચર છે. ૨૫ વર્ષીય નોર્ત્જે તે ૧૫ ખેલાડીઓમાં સામેલ છે, જેને દક્ષિણ આફ્રિકાએ પોતાની વિશ્વ કપની ટીમમાં સામેલ કર્યો છે. આઈસીસી વિશ્વ કપ આ મહિને ૩૦ મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. તેમાં ૧૦ ટીમો રમશે. વિશ્વ કપમાં રમવું કોઈપણ ખેલાડીનું સપનું હોઈ શકે છે. તેવામાં એનરિક નોર્ત્જેને ’ખરાબનસિબ’ વાળો કહેવામાં આવશે કારણ કે તે ત્રણ મહિનામાં બીજી વખત ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેને આ પહેલા માર્ચમાં શ્રીલંકા વિરુદ્ધ સિરીઝ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. આ કારણે તે આઈપીએલમાંથી હટી ગયો હતો. ત્યારબાદ વિશ્વકપની ટીમ જાહેર થતાં પહેલા તે સ્વસ્થ થઈ ગયો અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ફરી બહાર થતાં તેના સ્થાને સાઉથ આફ્રિકાએ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં તક આપી છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એનરિક નોર્ત્જેની ઈજાની વાતને સમર્થન આપ્યું છે. આફ્રિકી ટીમના મેનેજર ડો. મોહમ્મદ મૂસાજીએ જણાવ્યું, પોર્ટ એલિઝાબેથમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન એનરિકને અંગૂઠામાં ઈજા થઈ હતી. તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરે તેને સર્જરી કરી દીધી છે. પરંતુ તેને ફિટ થવામાં બે મહિના સુધીનો સમય લાગી શકે છે. આ કારણે તેણે ટીમમાંથી બહાર થવું પડ્યું છે.
૨૫ વર્ષના એનરિક નોર્ત્જેનું આંતરરાષ્ટ્રીય કરિયર આ વર્ષે ત્રણ માર્ચે શરૂ થયું હતું. તેણે હજુ સુધી ચાર વનડે મેચ રમી છે અને ૮ વિકેટ ઝડપી ચે. તેના સ્થાને વિશ્વ કપની ટીમમાં ક્રિસ મોરિસને તક આપવાની છે. આ જાહેરાત ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કરી છે.
આફ્રિદાના ડેલ સ્ટેન, રબાડા અને જેપી ડ્યુમિની પણ ઈજાગ્રસ્ત છે. ડેલ સ્ટેન અને રબાડા ઈજા થયા બાદ આઈપીએલ છોડીને પોતાના દેશ પરત ફરી ગયા છે.