કમલેશ કેસ : અશફાક બે મહિનાથી ચેટ કરતો હતો

542

ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એટીએસની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, અશફાક નામનો આરોપી કમલેશ તિવારી સાથે બે મહિનાથી ફેસબુક પર ફેક આઇડીથી ચેટ કરતો હતો. અશફાકે રોહિત સોલંકીના નામનું આઈડી બનાવી અને કમલેશ સાથે વાત કરી હતી અને તેમને મળવા માંગતો હતો. ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન સુરતમાં બનાવ્યો હતો. મુહમ્મદ પયગમ્બર સાહેબના વિરોધમાં ડિસેમ્બર ૨૦૧૫માં કમલેશ તિવારીએ વિવાદી નિવેદન આપ્યું હતું. જેથી ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદએ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, તે વખતે રશીદ દુબઈ જતો રહ્યો હતો. નોકરી છોડીને બે મહિના પહેલા જ તે સુરત આવ્યો ત્યારે આ વાત પાછી યાદ કરી હતી. લિંબાયત પદમાવતી સોસાયટીમાં ગલી નં-૧માં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તા.૧૬મીએ ફૈઝાને તેના મિત્ર સાથે ઉધનાની ધરતી નમકીન ફરસાણની દુકાન પરથી મીઠાઈ ખરીદી હતી. હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનો ગુનો ઉકેલવા મહત્ત્વની કડી મીઠાઈનું બોક્ષ અને જે દુકાનથી ખરીદી કરાઈ તેનું બિલ પોલીસને મળ્યું હતું. જેના આધારે તપાસનો રેલો સુરત પહોંચ્યો હતો. આ ગુનામાં ગુજરાત એટીએસ સાથે સુરત ક્રાઇમબ્રાંચ તેમજ એસઓજી તપાસમાં જોતરાયા છે. શરૂમાં પોલીસે ઉધના ત્રણ રસ્તા પાસે ધરતી નમકીનના કાઉન્ટર પર મીઠાઈનું બિલ ગ્રાહકને આપવામાં આવ્યું તે સમયના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જેમાં મીઠાઈની ખરીદી કરનાર ફૈઝાન અને તેનો મિત્રના ફુટેજ સામે આવ્યા હતા. પોલીસે બંને મોપેડ પર આવ્યા તે આધારે ફૈઝાન અને તેના મિત્રની રસ્તા પરના સીસીટીવીના આધારે ટ્રેસ કર્યાં. જેમાં તે લિંબાયત મીઠીખાડી તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોપેડના નંબરથી એડ્રેસ પણ મેળવી લીધું. જેમાં પણ લિંબાયતમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શનિવારે મળસ્કે લિંબાયત જીલાની પાર્કમાં રહેતા ફૈઝાનની અટક કરી, બાદમાં તેની સામે ગ્રીન વ્યૂમાં રહેતા શાહીદ અને રસીદ પઠાણ બંને ભાઈઓને પૂછપરછ કરી હતી.

જેમાં ઉમરવાડાના મોહસીન શેખનું નામ આવતા તેને પણ એટીએસ ઊંચકી લાવી હતી. મોહસીન લિંબાયતના મદ્રેસામાં ભણાવે છે. ચાર જણાની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં ત્રણ જણા હત્યામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જયારે રશીદનો ભાઈ શાહીદનો ગુનામાં કોઈ રોલ ન હોવાથી તેને શનિવારે સાંજે એટીએસએ છોડી મુક્યો હતો. પોલીસે મૌલાના મોહસીન સલીમ શેખ, ફૈઝાન યુનુસ જીલાની અને રશીદ શેખની ધરપકડ કરી હતી. જયારે અશફાક રશીદનો પાડોશી છે. તા.૧૫મી ઓકટોબરે એક બેઠકમાં રશીદે કહ્યું હતું કે જો તમે લોકો નહીં જઇ શકો તો હું હત્યા કરવા જઇશ. ત્યારબાદ ફરીદ અને અશફાકે કહ્યું કે, અમે હત્યા કરવા જઇશું અને તે ફરીદ સાથે લખનઉ ગયો અને તેણે હત્યા કરી હતી. રશીદના પિતાના કહેવા મુજબ, ફરીદ અને અશફાક ૧૬મી ઓક્ટોબરથી ગુમ છે. બીજીબાજુ, લખનઉમાં સીસીટીવીમાં બે આરોપીની સાથે એક મહિલા પણ દેખાઈ રહી છે, જે રસ્તામાં અશફાક અને ફરીદ સાથે સતત વાતચીત કરતી દેખાય છે. પોલીસને એવી આશંકા છે કે આ મહિલા પણ સુરતની હોઇ શકે છે. એટીએસ સહિતની તપાસ એજન્સીઓની તપાસમાં હજુ વધુ નવા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે.

 

Previous articleગુજરાતમાં માવઠા-કમોસમી વરસાદની આગાહી અકબંધ
Next articleગુજરાતમાં ૩૧ લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થશે