સમગ્ર ગુજરાત રાજ્યની ૨૦ શહેરની સાથે ભાવનગરમાં પણ આજે બુધવારે રાત્રે ૮ થી સવારે ૬ સુધીની નાઈટ કર્ફ્યુની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લોકોમાં આગામી દિવસોમાં ફરી લોકડાઉન અવાશે તેવી અને ચીજવસ્તુઓ નહી મળે તેવી દહેશત ફેલાઈ છે. પરિણામે આજે દિવસભર બજારમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા ભારેભીડ જોવા મળી હતી અને સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાયુ ન હતું. બજારમાં ખાસ કરીને પિરછલ્લા, વોરાબજાર, આંબાચોક, મામાનોખારણીયા સહિતના વિસ્તારોમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ દિવસ ભર જોવા મળી હતી. દિવસે ભીડ અને રાત્રે કર્ફ્યુ આનો મતલબ કશો રહેતો ન હોવાનું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે તંત્ર દ્વારા પણ નાઈટ કર્ફ્યુ અપાય છે ત્યારે લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવું જરૂરી બન્યુ છે. અન્યથા સંક્રમણ રોકાશે નહી અને નાઈટ કર્ફ્યુની કોઈ પણ જાતની અસર થશે નહી તેવું મનાઈ રહ્યુ છે.