સ્થાનિક દર્દીઓને ઇસીજી કરાવવા નહિ જવું પડે દૂર સુધી
શહેરની સી.એચ.સી. હોસ્પિટલમાં દોશી પરિવાર તરફથી ઇસીજી મશીનનું અનુદાન અપાતા હવેથી સ્થાનિક કક્ષાએ જ દર્દીઓને આ સુવિધા ઉપલબદ્ધ બની છે. વલ્લભીપુર શહેરના ભામાશા ગણાતા દોશી પરિવાર તરફથી અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ થતી આવી છે. સમાજના છેલ્લા નાગરિક સુધી સુવિધાઓ ઉપલબદ્ધ થાય એ માટેના અનેકોનેક સેવાકીય કર્યો દોશી પરિવાર તરફથી થતા આવ્યા છે. ખાસ કરીને છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી વ્યાપ્ત કોરોનાકાળમાં દોશી પરિવારે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે કરેલા સેવાકાર્યો થકી લોકોના હ્ર્દયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે વલ્લભીપુર સી.એચ.સી હોસ્પિટલમાં અત્યંત આવશ્યક એવા ઇસીજી મશીનનું અનુદાન કર્યું છે. મધુબેન હર્ષદભાઈ પુનમચંદ દોશી પરિવાર તરફથી ઇસીજી મશીનની ભેટ મળતા વલ્લભીપુર શહેર અને આસપાસના વિસ્તારના લોકોને ઇસીજી કરાવવા માટે શિહોર કે ભાવનગર સુધી ધક્કો નહિ ખાવો પડે. જરૂરિયાતની ચીજ વસ્તુઓ કે સેવા માટે દોશી પરિવાર હંમેશા તત્પર રહેતો હોય સ્થાનિકોમાં આ પરિવાર વલ્લભીપુરના ભામાશા તરીકે નામના પામ્યો છે.